ગુજરાતના વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો: ૧૭ નાવિકોએ દરિયામાં ૧૦ કલાક મોત સામે લડત આપી, એકનું મૃત્યુ
ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલા બાદ ૧૭ નાવિકોએ દરિયામાં ૧૦ કલાક સુધી મોત સામે લડત આપી હતી. આ ઘટનામાં એક નાવિકનું મૃત્યુ થયું છે અને ચાર ઘાયલ થયા છે.
અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા બાદ ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના સલાયા બંદરના વહાણ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 પર ૮ મેની વહેલી સવારે હુમલો થયો હતો. વહાણ દુબઈથી યમનના અલ મક્લલા બંદરે જઈ રહ્યું હતું.
વહાણના માલિક સુલેમાનભાઈ ભાયાએ જણાવ્યું કે હુમલા બાદ વહાણ મિનિટોમાં ડૂબી ગયું. ક્રૂ મેમ્બરોએ પીવીસી ટાંકીનો સહારો લઈ દરિયામાં તરતા રહેવું પડ્યું. ઘાયલ અલ્તાફ કેર (૪૨)ને ટાંકી પર રાખવામાં આવ્યા હતા, પરંતુ મદદ મળવામાં વિલંબ થતાં તેમનું મૃત્યુ થયું.
સલાયાનું જ બીજું વહાણ પ્રેમસાગર બચાવ માટે પહોંચ્યું, પરંતુ ત્યાં સુધીમાં અલ્તાફનું મોત થઈ ગયું હતું. ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું કે આ અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ભોગ બનનાર પ્રથમ ભારતીય વહાણ છે.
દુબઈમાં ભારતીય કૉન્સ્યુલેટે ઘટનાની પુષ્ટિ કરી છે. અલ્તાફ કેરના પરિવારે દુબઈમાં જ દફનવિધિ કરવાનો નિર્ણય લીધો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનની કથિત નાકાબંધી અને અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમ વચ્ચે આ ઘટના બની છે.